મેથીની ભાજી જ નહીં તેના બીયા પણ એટલા જ ગુણકારી છે. ભારતભર માં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. ખાવા માં પણ મેથી નાં ભજીયા,પરોઠા,ખાખરા થી લઇ ને ઘણી બધી વાનગીઓ બનાવાય છે.
મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે સારો ફાયદાકારક હોય છે. મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન છે.
જાણો મેથી દાણાના અઢળક ફાયદા
મેથી કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટિક છે. મેથી દાણા વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શૂળ, કબજીયાત, તાવ વગેરે સમસ્યામાં ઝડપથી આરામ આપે છે.
મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.
રોજ સવાર-સાંજ મેથી દાણા ગળવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે
સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.
મેથીને ઘી માં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.
કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડવી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.
ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.
ડાયાબીટીસમાં મેથીનો ઉપચાર
મેથી નો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.
ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.
ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે.
ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે.
ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.
રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે.
રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.
એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.
અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.
હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.
મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.
મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.
મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.
મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.
મેથીની ભાજી- મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.
ડાયાબિટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.
દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.
સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.