મારું મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે
નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
રચનાઃ ઝવેરચંદ મેઘાણી
ઓસામણ મીર સંગીત ઘરમાંથી જ શીખ્યા છે. ઘરમાં બધા સભ્યો સંગીત સાથે જોડાયેલા હતા. ઓસામણ મીર તબલા પ્લેયર હતા. તેમને સ્કુલમાંથી જ તબલા વગાડવાનો શોખ, પરંતુ તયો કહે છે મને સિંગિંગ માટે જો કોઇએ પ્રોત્સાહિત કર્યા હોય તો તે મોરારી બાપુ અને અંતગ મિત્ર પ્રદીપ દવે છે.
તેઓ ૧પ વર્ષથી મોરારી બાપુના સંપર્કમાં રહ્યા છે. દર ગુરુપૂર્ણિમા અને હનુમાન જયંતીના દિવસે તબલા પ્લેયર તરીકે તેમનું ગામ તલગાજરડામાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા જતા. એક દિવસ સવારના સમયે અમે એમ જ ગીતો ગાતા હતા.મોરારી બાપુના પુત્ર પાર્થિવભાઇએ એમને સાંભળ્યો અને તેમણે બાપુને કહ્યું કે આ સારું ગાય છે અને બાપુએ એમને સ્ટેજ પરથી ગવડાવ્યું. તે દિવસે મેં ૩૦ મિનિટ ભૈરવી રાગ છેડયો. ત્યારથી લઇને આજ દિન સુધી મોરારી બાપુ સાથે દેશ વિદેશમાં યોજાતી કથામાં જવાનું થાય છે. બાપુ સાથે ૨પ-૨૬ દેશોમાં ફર્યા છે.
સંજય ભણશાલી સર એક વખત ગુજરાતના પ્રવાસે હતા, કારમાં ઓસામણ ભાઈ ના ગીતની કેસેટ વાગતી હતી તે સાંભળી તેઓ અભિભૂત થયા ને એમનું નસિબ ખુલી ગયું. ડ્રાઈવરને એમના વિશે પુછ્યું અને પછી તેમણે ઓસામણ ભાઈ નો સંપર્ક કર્યો.
ઓસામણ ભાઈએ ૩૨ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક કર્યું છે. અસંખ્ય ગીતો ગાયા છે. પરંતુ એક જ ફિલ્મે એમને પોપ્યુલર બનાવી દીધા. નવા કલાકારોને તયો મેસેજ આપે છે કે ”મારા ગુરુ મને કહેતા, ‘રિયાઝ કરો, અને રાજ કરો…’એ આજે પણ યથાર્થ છે. રિયાઝ છુટી જાય તો કલાકારની ગાયકીમાં ફેર પડી જાય છે.
માટે રિયાઝ એ ગાયકોનુ ઓક્સિજન છે તેમ કહી શકાય. કલાકમાં 3 કલાક જેટલુ રિયાઝ કરવુ જ જોઇએ. તમે સંગીતને એક દિવસ છોડો તો સંગીત તમને ૪૦ દિવસ છોડી દેશે : ‘મોર બની…’ સિવાય પણ ઘણી રચનાઓ ગાઇ છે